આજકાલ મોબાઈલનું વળગણ બાળકો ઉપર ખૂબ જ ઉંડી માનસિક અસરો પહોંચાડી રહ્યું છે. ગેમમાં ભજવાતું હિંસક પાત્ર તેઓ વાસ્તવિક જીવનમાં કલ્પવા માંડ્યા છે. કોઇની રોકટોક તેમને પસંદ આવી રહી નથી. ગેમની લત એવી લાગી છે કે તેઓ વાસ્તવિક મિત્રો, પરિવાર, સંબંધી તો શું શાળા અને અભ્યાસ કહો કે ભણતર પણ ભૂલવા માંડ્યા છે. કંઇક આવો જ વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો વલસાડમાંથી સામે આવ્યો છે. અહીના કૈલાસ રોડ પર આવેલ શેઠિયા નગરમાં ઋષિકેશ એપાર્ટમેન્ટની ટેરેશ પરથી એક સગીરે ઝંપલાવ્યું છે. 15 વર્ષના બાળકે ફ્રી ફાયર ગેમ રમવાની લતના કારણે ઝંપલાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ સગીરને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યો હતો, જોકે, દુર્ભાગ્યવશ તેનું ત્યાં મોત થયું હતું. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે પરિવારજનોએ શાળાએ જવાનું કહેતા સગીરને માઠું લાગી આવતા ટેરેશ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં વલસાડ સિટી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, વલસાડ શહેરના કૈલાશ રોડ વિસ્તારમાં આવેલ ઋષિકેશ એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી એક કિશોરે લગાવી મોતની છલાંગ લગાવી હતી. માતા સાથે રહીને અભ્યાસ કરતા અને અબ્રામા BAPS સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતા કિશોરને છેલ્લા કેટલાક દિવસથી ફ્રી ફાયર ગેમની લતે ચઢી ગયો હતો. માતાએ દીકરાને શાળાએ જવાનું કહેતા તેણે લાગી આવ્યું હતું અને ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી. આ ઘટના બાદ તાત્કાલિક 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડયો હતો, જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમ્યાન સગીરનું મોત નીપજ્યું હતું.
છલાંગ લગાવનાર સગીરનું નામ જયનેશ ભીખુભાઇ સુનેકર છે. વલસાડમાં પુરની સ્થિતિ દરિયાન સ્કૂલો બંધ હોવાથી આખો દિવસ તે મોબાઈલમાં ગેમ રમતો હતો, જેને કારણે તેને લત લાગી ગઈ હતી. સોમવારથી શાળા શરૂ થઈ હતી. જોકે, દીકરો ગેમને રવાડે ચડી ગયો હોવાથી સ્કૂલે જતો નહોતો. આજે વહેલી સવારે જયનેશે સ્કૂલે જવાની ફરીથી ના પાડતા માતાએ પરાણે સ્કૂલે જવાનું કહેતા લાગી આવ્યું હતું અને ત્રીજા માળેથી ઝંપલાવી દીધું હતું. કિશોરે જંપલાવતા તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, જયનેશનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.