સુરતથી જામજોધપુર જઈ રહેલી ખાનગી બસ રાજકોટ પહોંચી ત્યારે તેમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકને મૃતદેહ મળતાં ચકચાર મચી ગઈ છે. ડીસીપી પ્રવિણ કુમાર મીનાએ બસમાં જઈને તપાસ કરી હતી. એફ.એસ.એલ અને ડોગ સ્કવોડને બોલાવવામા આવી છે. યુવાનમાં ગાળાના ભાગે બ્લેડના ચેકા મારેલા જોવા મળ્યા હોવાથી હત્યાની દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરતથી જામજોધપુર જતી ક્રિષ્ના ટ્રાવેલ્સની રાજકોટ પહોંચી હતી. રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે બસ ઉભી રહી ત્યારે બસમાં એક યુવાન લોહીલુહાણ અવસ્થામાં દેખાયો હતો. મુસાફરોએ ચેક કરતાં એ યુવકને મૃત્યું પામ્યો હોવાનું જણાયું હતું. બસ નંબર જીજે-24-એક્સ-2641 નંબરની બસમાં સીટ નંબર એફ પરથી આ યુવકનો મૃતદેહ મળવા અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. તપાસ દરમિયામ મૃતક પાસે મળેલા આધાર કાર્ડના પગલે તેનું નામ પ્રવિણ વાઘેલા હોવાનું સામે આવ્યું છે.
બસમાંથી મૃતહેદ મળ્યા બાદ પ્રવિણ ક્યાંથી બસમાં બેઠો હતો એ અંગે માહિતી મેળવવા સાથે બસમાં મુસાફરી કરી રહેલા તમામની પૂછપરછ કરવામાં આવી હતી. સાથે જ સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત જે જગ્યા ઉપર બસ ઉભી રહી ત્યાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.
રાત્રિના 11:30 બાદ બનાવ બન્યાની પ્રાથમિક વિગત સામે આવી છે. ઉપરાંત બસની અંદર રહેલા મુસાફરોની પણ પૂછપરછ કરવામાં આવશે. હાલ બસને બી ડિવિઝન લઈ જવામાં આવી છે. પ્રવીણ વાઘેલાના ગળે જોવા મળેલા ઈજાની પણ ખૂબ ઝીણવટ ભરી રીતે નિષ્ણાંતોની મદદ લઈને તપાસ કરવામાં આવી રહી છે.