લાખો શ્રધ્ધાળુંઓની આસ્થાનું કેન્દ્ર એવી અમરનાથ યાત્રા આજથી ઔપચારિક રીતે શરૂ થઈ ગઈ છે. લગભગ 10 હજાર શ્રદ્ધાળુઓ પહેલગામ બેઝ કેમ્પ પહોંચ્યા છે. બે વર્ષ બાદ શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે અમરનાથ યાત્રા 43 દિવસ સુધી ચાલશે. આજથી શરૂ થયેલી યાત્રા 11 ઓગસ્ટે પૂરી થશે. 7-8 લાખ ભક્તો દર્શન કરે તેવી અપેક્ષા છે.
અમરનાથ યાત્રા નિર્વિધ્ને પાર પડે એ માટે તંત્ર દ્વારા પુરી તકેદારી રાખી તૈયારી કરવામાં આવી છે. કુદરતી આપત્તિને પહોંચી વળવા માટે અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ પુરતી વ્યવસ્થા ઉભી કર્યા બાદ યાત્રાની શરુઆત થઇ છે. પહેલગામ અને બાલટાલ બેઝ કેમ્પથી દરરોજ 10-10 હજાર ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરવા જશે. આતંકવાદી હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સ્થળ પર સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ (SASB) એ પવિત્ર ગુફામાં કુદરતી રીતે બનેલા બરફના શિવલિંગના દર્શન માટે તમામ તૈયારીઓ કરી લીધી છે.
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ બુધવારે જમ્મુ બેઝ કેમ્પથી તીર્થયાત્રીઓની પ્રથમ બેચને લીલી ઝંડી બતાવી હતી. 4,890 તીર્થયાત્રીઓનો સમાવેશ કરતી પ્રથમ ટુકડી બુધવારે સવારે 4 વાગ્યે 176 વાહનોમાં ભગવતી નગર બેઝ કેમ્પથી નીકળી હતી અને કાફલા તરીકે કાશ્મીર ખીણ તરફ રવાના થઈ હતી. નોંધનીય છે કે વર્ષ 2019 માં, સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદને ધ્યાનમાં રાખીને યાત્રાને અધવચ્ચે સ્થગિત કરવામાં આવી હતી. તે જ સમયે, વર્ષ 2020 અને 2021 માં કોવિડ -19 રોગચાળાને કારણે, યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ન હતું.