અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા બે દિવસથી જુદા જુદા વિસ્તારોમાંથી માનવઅંગો કહો કે અવશેષો મળી આવતાં ભારે ચકચાર મચી છે. વાસણા બાદ એલિસબ્રિજ વિસ્તારમાંથી માનવ અંગો મળ્યા છે. જેને લઇ લોકોમાં ભય મિશ્રિત કૂતૂહલ છે, તો પોલીસતંત્ર આ લાશના ટૂકડા કરી નિકાલ કરનારા હત્યારાને શોધવા દોડધામ કરી રહ્યું છે.
વેબ સિરીઝ અસુર હમણા ભારે ચર્ચામાં રહી હતી. જેમાં એક વ્યક્તિ ઓળખ છૂપાવી મુખોટું પહેરી એક બાદ એક હત્યા કરે છે. હત્યા બાદ લાશના કટકા કરી નિકાલ કરવાની હત્યારાની મોડસ ઓપરેન્ડીએ વેબસિરિઝ ચાહકોમાં ભારે ચર્ચાસ્પદ બની હતી. કંઇત આવી જ કંઈક ઘટના અમદાવાદમાં બનતા પોલીસ દોડતી થઈ છે. આખરે હત્યારો કોણ છે એ સવાલ શહેરભરની પોલીસને સતાવી રહ્યો છે. હત્યારો હત્યા કર્યા બાદ મૃતદેહનાં ટુકડા કચરાના ઢગલામાં નાખીને તેનો નિકાલ કરી રહ્યો છે. હત્યારાને શોધવા વાસણા બાદ એલિસબ્રિજ પોલીસ અને હવે શહેરભરની પોલીસ દોડધામ કરી રહી છે. સાથે જ હત્યા કોની અને કેમ તથા કોણે કરી તેની પણ તપાસ થઈ રહી છે.

બે દિવસ પહેલા શહેરના વાસણા વિસ્તારમાં આવેલા સોરાઈ નગરમાં એક યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ તે મૃતદેહનું માત્ર ધડ જ હતું. એટલે કે બે હાથ-પગ અને માથું મળી આવ્યું ન હતું. જે અંગે વાસણા પોલીસે હત્યાનો ગુનો નોધી મૃતક અને આરોપીની શોધખોળ કરતી હતી. તેવામાં આજે એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા કલગી ચાર રસ્તા પાસે સવારે માનવ મૃતદેહના બે પગ મળી આવ્યા હતા. જે અંગે એલિસબ્રિજની સાથે વાસણા પોલીસ પણ તપાસમા જોતરાઈ છે. કારણ કે એક બાદ એક માનવ અંગો મળી આવતા હત્યારો જાણે પોલીસને પડકાર ફેંકતો હોય તેમ લાગી રહ્યુ છે.
વાસણા અને એલિસબ્રિજ વિસ્તારમાં મળી આવેલા માનવ મૃતદેહની સાયન્ટિફિક તપાસ શરૂ કરવામાં આવી છે. એટલે કે માનવ મૃતદેહનાં બંને ટુકડાઓના ડીએનએ પરીક્ષણ કરાવવામાં આવશે. જેથી આ બંને ટુકડા એક જ વ્યક્તિના છે કે અલગ અલગ છે તે અંગે હકીકત સામે આવશે.
સાથે મૃતક યુવક કોણ છે તેની શોધખોળ માટે શહેર અને આસપાસના વિસ્તારોમાંથી ગુમ થયેલા યુવકોને અને તેમના પરિવારને શોધવા પોલીસ કાર્યવાહી કરી રહી છે. આ કેસમાં પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે તેની ઉપર સૌની મીટ મંડાયેલી છે.