સુરત : વીરપુરનું નામ પડે એટલે સખાવત જ યાદ આવે. સદાવ્રત માટે જાણીતું વીરપુર એકમાત્ર એવું ધાર્મિક સ્થળ છે જ્યાં દાન સ્વીકાર કરવામાં આવતું નથી. આ વીરપુર અને સંત જલારામ નામનો દુરુપયોગ કરીને એક વૃદ્ધે સુરતમાં ડ્રાયફૂટના વેપારી જોડે મોટી છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. છેતરપિંડી કરતાં વૃદ્ધના સીસીટીવી પણ મળતાં પોલીસે તેના આધારે તપાસ હાથ આરંભી હોવાનું જાણવા છે.
પોલીસ પાસે મળતી માહિતી અનુસાર સુરતમાં સિટીલાઇટ રોડ ઉપર રાજતિલક એપાર્ટમેન્ટમાં રહેતા હિતેશ બાબુલાલ સંકલેચા ખટોદરાના વિવેકાનંદ ગાર્ડન સામે જીવકોર સોસાયટીમાં ડ્રાયફ્રૂટ બજારના નામે ડ્રાયફ્રૂટનો વેપાર કરે છે. તેમની દુકાનમાં 70 વર્ષનો વૃદ્ધ અને 50 વર્ષની આધેડ મહિલા મહારાષ્ટ્ર પાસિંગની કાર લઇ આવ્યાં હતાં. તેઓએ પોતાની ઓળખ જલારામમંડળ, વીરપુરના મુખીયા તરીકે આપીને મહારાષ્ટ્રની ઓફિસમાં પ્રસાદરૂપે વહેંચવા માટે વધારે જથ્થામાં ડ્રાયફ્રૂટની જરૂર હોવાનું જણાવ્યું હતું.

આ બંનેએ 49 હજારના 66 કિલો કાજુ, 28 હજારના 42 કિલો બદામ અને 1 કિલો અખરોટ મળી કુલ રૂ.79 હજારની ખરીદી કરી હતી. વૃદ્ધે ડ્રાયફ્રૂટનો માલ પેકિંગ કરી કારમાં મૂકી દેવા માટે કહ્યું હતું. આ સાથે જ તેઓએ હિતેશભાઇને 79 હજારનું બિલ જલારામમંડળ, વીરપુરના નામે બનાવવા કહ્યું હતું. આ બિલની સામે વૃદ્ધે પોતાનો જ ચેક આપ્યો હતો. વ્હાઇટની એન્ટ્રી કરવા માટે હિતેશભાઇએ જલારામમંડળનો ચેક અથવા તો રોકડા રૂપિયા માંગ્યા હતાં.
દરમિયાન વૃદ્ધ ગાડીમાંથી રોકડા રૂપિયા આપવાનું કહી ગાડી પાસે ગયા હતાં અને ત્યાંથી કારમાં બેસીને ફરાર થઇ ગયા હતાં. તેમની પાછળ હિતેશભાઇએ મોપેડ લઇ એક માણસને પણ મોકલાવ્યો હતો, પરંતુ વૃદ્ધ ભાગવામાં સફળ થયો હતો. બાદ હિતેશભાઇએ ફોન કરતાં વૃદ્ધે કહ્યું કે, હું ભટારના દીપક કરિયાણા સ્ટોર ઉપર છું, ત્યાં માણસને મોકલી આપો. હિતેશભાઇએ પોતાની ઓફિસના સ્ટાફને મોકલ્યો, પરંતુ કરિયાણા સ્ટોર ઉપર વૃદ્ધ મળી આવ્યો ન હતો. વારંવાર ફોન કરવામાં આવતાં વૃદ્ધ અને તેની સાથે આવેલી આધેડ મહિલા અમદાવાદ તરફ નીકળી ગયાં હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ અંગે હિતેશભાઇએ ખટોદરા પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.