સુરત : છેલ્લા પખવાડિયાથી જુદા જુદા રાજ્યોમાં કોરોનાના કેસીસ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. ગુજરાતમાં પણ છેલ્લા અઠવાડિયાથી કોરોનાએ ફરી માથુ ઉંચક્યું છે. રાજ્યભરમાંથી નોંધાઇ રહેલા કેસીસ તંત્રને સાબદુ અને સતર્ક રહેવા ચેતવી રહ્યું છે. સુરત શહેર-જિલ્લામાં ધીમે ધીમે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં નવા 20 કેસ નોંધાયા હતા. છેલ્લા આઠ દિવસમાં 95 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 101 દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી. હાલ સુરત શહેર જિલ્લામાં 76 એક્ટિવ કેસ છે. જેમાંથી 3 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. વિતેલા 24 કલાકમાં 10 દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા હતા.
શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 20 કેસ સામે આવ્યા હતા. કોરોના પોઝિટિવ આવેલા 16 નવા કેસ શહેરમાં આવ્યા હતા. સુરત શહેર જિલ્લામાં છેલ્લા છ દિવસથી 10થી વધુ કેસ સામે આવી રહ્યા છે. ગત રોજ શહેરમાંથી 8 દર્દી કોરોનામુક્ત બન્યા હતા. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 205160 કેસ સામે આવી ચુક્યા છે જે પૈકી 202834 લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે. કુલ 2240 લોકો શહેર જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામી ચુક્યાનું સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યું છે.
કોર્પોરેશન હાલ જેટલા પણ કોરોના એક્ટિવ કેસો છે. તે તમામની હિસ્ટ્રી અને ટ્રેસિંગ કરીને તેમની આસપાસના લોકોના પણ રેપિડ ટેસ્ટ કરાવવાના શરૂ કરી દેવામાં આવ્યા છે. ફરી એક વખત જે લોકોના વેક્સિનના ડોઝ બાકી છે. તે નજીકના આરોગ્ય વિભાગનો સંપર્ક કરી લે તે જરૂરી છે. પ્રિકોશન સહિતના ડોઝ લઈને પોતાને સુરક્ષિત કરી લેવાની જરૂરિયાત છે. આરોગ્ય વિભાગની ટીમ સમગ્ર સ્થિતિ ઉપર નજર રાખીને બેઠી છે. અત્યાર સુધીના અનુભવના આધારે તમામ પગલાં લેવાના શરૂ કર્યા છે. આ સાથે જ નાગરિકોને પણ સતર્ક, સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ભીડભાડ હોય એવી જગ્યાએ કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવા કહેવાય રહ્યું છે.