નર્મદા જિલ્લાના કેવડિયા નજીકની ધરા શનિવારે બપોરના સમયે ધણધણી ઉઠી હતી. કેવડિયા નજીક ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.સરદાર સરોવર ડેમથી 30 કિલોમીટરના વિસ્તારમા ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને રિક્ટર સ્કેલ ઉપર 3.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું હતું.
આધારભૂત સૂત્રો પાસેથી મળતી અનુસાર વરસાદી માહોલ વચ્ચે બપોરે 2 વાગ્યા આસપાસ એકતા નગર કહો કે કેવડિયાના સ્થાનિક રહેવાસીઓને ભૂકંપનો આહેસાસ થયો હતો. જેને લઇને આ પંથકના બહુમાળી ઇમારતોમાંથી લોકો નીચે ઉતરી આવ્યાં હતા. ઉપરાંત સાંકળી શેરીઓમા ભૂકંપ બાદ લોકો બહાર દોડી આવ્યા હતા. ભૂકંપને પગલે પ્રવાસીઓમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપની પૃચ્છા કરવા માટે સરકારી કચેરીઓના ફોન પણ રણકવા માંડ્યા હતાં.
વહીવટી તંત્રએ ભૂકંપની વાતને સમર્થન આપ્યું હતું. આ સાથે એવી વાત પણ જણાવી હતી કે ભૂકંપને પગલે નર્મદા ડેમને કોઈ જોખમ નથી, કારણ કે નર્મદા ડેમ 6.5 રિક્ટર સ્કેલના ભૂકંપમાં પણ ન તૂટે તેવો મજબૂત બનાવાયો છે. વધુમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઉપર પણ 6.5ની તીવ્રતાના ભૂકંપ તથા કલાકના 220 કિ.મી.ની ઝડપે વાતા વાયરાની પણ અસર ન થાય તેવી મજબૂત બનાવાઇ છે. નોંધનિય છે કે, પ્રતિમાના નિર્માણ વેળાએ 85 ટકા જેટલો તાંબાની ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે આથી તેને હજારો વર્ષ સુધી કાટ ન લાગે તેવો દાવો કરાયો છે.