રાજકોટ: ન જાણ્યુ જાનકી નાથે, સવારે શું થવાનું છે.. ખૂબ જાણીતા એવા આ ભજનને સાર્થક કરતી ઘણી ઘટના આપણી આસ પાસ ઘટતી જોવા મળે છે. આનંદ કિલ્લોલ કરતાં પરિવારમાં કંઇક એવું બની જાય કે બીજી જ ક્ષણે તે શોકની ગાર્તામાં સરી પડે. કંઇક આવો જ બનાવ રાજકોટ શહેરમાં બન્યો હતો. અહીં દાદીની નજર સમક્ષ જ પૌત્રીનું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. અંબાજી મંદિર નો લોખંડનો ગેટ માથે પડતા માસૂમ પૌત્રીને ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદમાં બાળકીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી રહી હતી. જોકે, હોસ્પિટલે પહોંચે તે પૂર્વે જ માસૂમે અંતિમ શ્વાસ લીધા હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના કણકોટ રોડ પાસે આવેલા ક્રિસ્ટલ એવન એપાર્ટમેન્ટમાં રહેતી ચાર વર્ષની બાળાનું અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. રવિભાઈ અને ફોરમબેનની એકની એક દીકરી પોતાના દાદી સાથે નિયમિત મંદિરે જતી હતી. ત્યારે ગુરૂવારના રોજ પણ પૌત્રી આર્વીને લઈ દાદીમાં અંબાજી માતાના મંદિરે ગયા હતા. આર્વી બીજા બાળકો સાથે મંદિરમાં રમી રહી હતી કે ત્યારે અચાનક કોઈએ ડેલો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. ચારેક ફૂટનો ડેલો માસૂમ આર્વી પર પડતા તે ડેલા નીચે દબાઈ ગઈ હતી, જેના કારણે તેને ગંભીર ઇજા પણ પહોંચી હતી. આર્વીને સારવાર માટે હોસ્પિટલે પહોંચાડવામાં આવે તે પૂર્વે જ તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું.
માસૂમ આર્વીની અંતિમવિધિ માટે પરિવારજનો તેને જેતપુરના પ્રેમગઢ ખાતે લઈ ગયો હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલાની જાણ તાલુકા પોલીસને થતા તાલુકા પોલીસ દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એકની એક માસૂમ દીકરીએ અચાનક જગત છોડી દેતા ઊંજીયા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
રોજ પોતાની દીકરીને અંબાજી માતાના મંદિરે લઈ જનાર દાદીને પણ સમગ્ર ઘટનાથી આઘાત પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોતાની નજર સમક્ષ થોડીક ક્ષણો પહેલા અન્ય બાળકો સાથે રમતી પોતાની પૌત્રી આર્વી હવે આ દુનિયામાં નથી તે માનવું તેના દાદી સહિતના પરિવારજનો માટે ખૂબ જ અઘરું છે.