અમદાવાદ, 14 જુલાઈ…
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગે વધુ 2 દિવસ અતિ ભારે વરસાદ વરસશે તેવી આગાહી જાહેર કરી છે. આગાહી પ્રમાણે શુક્રવાર અને શનિવારના રોજ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળી શકે છે. સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતની સ્થિતિ કફોડી બની ચૂકી છે. નવસારી અને વલસાડ જિલ્લો જાણે પાણીમાં ગરક થઇ ગયો છે. નેશનલ હાઇવે ઉપર પણ પાણી ફરી વળતાં વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. આ સ્થિતિ લાંબી ચાલી તો જીવન જરુરિયાતની ચીજ-વસ્તુના પુરવઠાને પણ અસર પહોંચવાની દહેશત વ્યક્ત કરાઇ રહી છે.
ગુજરાતીઓને આગામી 3 દિવસ સુધી વરસાદમાં કોઈ જ રાહત નહીં મળે અને અતિ ભારેથી પણ ભારે વરસાદનો માર સહન કરવો પડશે. અમદાવાદમાં પણ આગામી 3 દિવસ દરમિયાન હળવાથી ભારે વરસાદની આગાહી છે. જ્યારે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ અને જૂનાગઢમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે. આમેય આ જિલ્લાની હાલત કફોડી બની ગઇ છે. સર્વત્ર પુર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. દક્ષિણ ગુજરાતમાં નગરોની શેરીઓ જ નહીં હાઇવે ઉપર પણ પાણી ફરી વળ્યા છે. લોકો ઘરમાં પુરાઇ રહેવા મજબૂર બન્યા છે. છેલ્લા ત્રણેક દિવસથી આ સ્થિતિ પ્રવર્તી રહી છે. હવે ધીરે ધીરે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખૂટવા આવી છે. વાહન વ્યવહાર ઠપ્પ થઇ જવાના કારણે હવે આગામી દિવસોમાં સ્થિતિ વધું ખરાબ થવાના એંધાણ વર્તાય રહ્યા છે.
આગામી 48 કલાકમાં ગુજરાતના દરિયાઈ કાંઠા વિસ્તારમાં લો પ્રેશર સિસ્ટમ ક્રિકેટ થવાના કારણે ચોમાસુ વધુ તીવ્ર બની શકે છે. આ કારણે આવતીકાલે માછીમારો તથા બંદરો માટે પોર્ટ વોર્નિંગ બહાર પાડવામાં આવશે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 400 મીમી વરસાદ નોંધાયો છે અને સિઝનનો 80 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ ગાંધીનર અને અમદાવાદમાં પણ ભારે વરસાદી ઝાપટાની આગાહી જણાવી હતી.