વર્ષ 2002 ના ગુજરાત રમખાણોમાં ખોટા એફિડેવિટ કરવા અને સાક્ષી ઉભા કરવાનો મામલે તિસ્તા સેતલવાડ સામે વધુ એક મહત્વનું નિવેદન એસઆઈટી દ્વારા નોંધવામાં આવ્યું છે. વર્ષો સુધી સાથે કામ કર્યા બાદ છુટા પડેલા રઈસ ખાને SIT સામે નિવેદન નોંધ્યુ છે. તિસ્તાના એક સમયના ઘનિષ્ઠ સાથી રઈસ ખાને તીસ્તા સામે મેજિસ્ટ્રેટ સમક્ષ 164 મુજબ નિવેદન આપ્યુ છે. જેના આધારે આ કેસમાં નવા આરોપીઓ ઉમેરવાની શક્યતા છે. તીસ્તા સીતલવાડના પૂર્વ સહયોગી રઈસ ખાને અહમદ પટેલ દ્વારા ગુજરાત તોફાનો બાદ 30 લાખ રૂપિયા આપવાની વાત કબૂલી છે.
રઈસ ખાન પઠાણે ZEE 24 કલાક સામે મહત્વના ખુલાસા કરતા જણાવ્યુ કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બદનામ અને બીજેપી સરકારને પાડવાના શરૂઆતના સમયમાં 5 લાખ રૂપિયા નગદ આપવામાં આવ્યા હતા. તેના 48 કલાક બાદ 25 લાખ રૂપિયા નગદ અહેમદ પટેલે કોઈ નરેન્દ્ર બ્રહ્મભટ્ટ પાસેથી લઈને તીસ્તાને આપ્યા હતા. તેમણે રૂપિયા આપતા કહ્યુ હતું કે, ફંડની અછત નહિ થાય માત્ર હેતુ યાદ રાખો અને મોદીને જેલમાં બંધ કરાવો અને સરકાર પાડી નાંખો. મુમતાઝ પટેલના દાવા એકદમ ખોટા છે.
તેમણે કહ્યુ કે, ‘2008 માં તીસ્તાથી અલગ થયા બાદ અહેમદ પટેલને 2 વાર મુલાકાત કરીને ફરિયાદ કરી. પરંતુ તેમણે કહ્યુ હતું કે, જે પણ થઈ રહ્યુ છે તે અમારા ઈશારા પર થઈ રહ્યુ છે. તમે તેનાથી દૂર રહો.’ મને એવુ પણ કહી દેવામાં આવ્યુ હતું કે, સોનિયા ગાંધી સાથે દિલ્હીમાં તેમના ઘરે તીસ્તા અને મારી મુલાકાત થઈ હતી. ત્યારે સોનિયા ગાંધીએ તીસ્તાને પૂછ્યુ હતું કે, ફંડમાં કોઈ તકલીફ તો નથી ને. ત્યારે તીસ્તાએ ના જવાબ આપ્યો હતો. અહેમદ પટેલના આર્શીવાદથી જ આ બધુ મળી રહ્યુ હતું.
રઈસ ખાન પઠાણે ઝી 24 કલાકની વાતચીતમાં એ પણ કહ્યુ કે, SIT સોનિયા ગાંધીની પૂછપરછ કરે તો બધુ સ્પષ્ટ થઈ જશે.
રઈસ ખાને પોતાના નિવેદનમાં જણાવ્યું કે, તિસ્તા સેતલવાડની કોંગ્રેસના નેતા અહેમદ પટેલ સાથે બેઠક થઈ ત્યારે તે પોતે હાજર હતો. બેઠકમાં કોંગ્રેસના તત્કાલિન નેતાઓ પણ હાજર હતા. બેઠક સર્કિટ હાઉસ ખાતે મળી હતી અને જેમાં અહેમદ પટેલે 5 લાખ રૂપિયા આપ્યા હતા અને સાથે જ પછી 25 લાખ રૂપિયા આપ્યા હતા. આ બેઠક ગુજરાતમાં થનારી ચૂંટણીમાં સરકાર ઉથલાવી પાડવા માટે મોટું ષડયંત્ર ઘડવા માટે મળી હતી. ત્યાર બાદ તિસ્તાએ રઇસ ખાનને પણ ધમકીઓ આપી હતી અને તેણે તીસ્તા સાથે છેડો ફાડી દીધો હતો.