અમરાવતીઃ મહંમદ પયંગર અંગે આપત્તીજનક ટિપ્પણી મામલે ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા ઉપર ચોમેરથી હલ્લાબોલ થયો હતો. આવા સમયે તેણીના સમર્થનમાં પણ ઘણાં નાગરિકો આવ્યા હતાં. સોશિયલ મીડિયામાં શાબ્દિક લડત અને સમર્થન-વિરોધની આ માથાકૂટ લોહીયાળ બની હતી. ઉદેપુરમાં દરજી કનૈયાલાલની ગરદન વાઢી ક્રૂર હત્યા કરાઇ હતી. આ હત્યાકાંડનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કરતાં ઘટના દેશભરમાં ચકચારી બની હતી. આ હત્યાકાંડમાં આતંકી અને પાકિસ્તાન કનેક્શન બહાર આવતાં મામલો સંગી બન્યો હતો. હવે એવી વાત બહાર આવી છે. કે નૂપુરના સમર્થનમાં ઉદેપુરના કનૈયાલાલની હત્યા થઇ એ પહેલા મહારાષ્ટ્રના અમરાવતીમાં દુકાનદારને પણ મોતને ઘાટ ઉતારાયો હતો. હવે આ અમરાવતી હત્યાની તપાસ એનઆઈએને સોંપી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મામલામાં નિર્દેશ આપ્યા છે.

21 જૂને થઈ હતી કેમિસ્ટની હત્યા
આ ઘટના 21 જૂનના રોજ રાતે 10 થી સાડા દસ વાગ્યાની વચ્ચે થઈ હતી. તે સમયે ઉમેશ કોલ્હે તેમની દુકાન અમિત મેડિકલ સ્ટોર બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન 27 વર્ષનો સંકેત અને તેમની પત્ની વૈષ્ણવી તેમની સાથે બીજા સ્કૂટર પર હતા. ફરિયાદમાં સંકેતે જણાવ્યું છે કે અમે પ્રભાત ચોકથી જઈ રહ્યા હતા અને અમારું સ્કૂટર મહિલા કોલેજ ન્યૂ હાઈ સ્કૂલના ગેટ પર પહોંચ્યું જ હતું કે મોટરસાઈકલ પર સવાર બે લોકો અચાનક મારા પિતાની સ્કૂટી સામે આવી ગયા.
સંકેતે પોલીસને જણાવ્યું છે કે તેમણે મારા પિતાની બાઈક રોકી અને તેમાંથી એકે તેમના ગળે ચાકૂથી વાર કર્યો. ત્યારબાદ મારા પિતા પડી ગયા અને તેમના શરીરમાંથી ખુબ લોહી વહી રહ્યું હતું. મે મારું સ્કૂટર રોક્યું અને મદદ માટે બૂમો પાડવા લાગ્યો. અચાનક અન્ય એક વ્યક્તિ આવ્યો અને ત્રણેય મોટરબાઈકથી ભાગી ગયા. આસપાસના લોકોની મદદથી ઉમેશ કોલ્હેને નજીકની એક્સન હોસ્પિટલમાં દાખલ કરાયા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું.

અમરાવતી શહેર પોલીસના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓ પાસેથી જાણકારી મળી છે કે તેમણે એક અન્ય આરોપીની મદદ માંગી જેણે તેમને એક કાર અને ભાગવા માટે 10,000 રૂપિયા ઉપલબ્ધ કરાવ્યા હતા. ધ ઈન્ડિયન એક્સપ્રેસે સૂત્રોના હવાલે જણાવ્યું છે કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઉમેશ કોલ્હેએ વોટ્સએપ પર નુપુર શર્માનું સમર્થન કરતી એક સોશિયલ મીડિયા પોસ્ટ ફોરવર્ડ કરી હતી. ભૂલથી તેમણે તે પોસ્ટ મુસ્લિમ સભ્યોવાળા એક ગ્રુપમાં પણ શેર કરી દીધી. તે ગ્રુપમાં ઉમેશના ગ્રાહકો પણ હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક જણે કહ્યું કે આ પયગંબરનું અપમાન છે અને આથી તેણે મરવું જ જોઈએ. સુરક્ષા એજન્સીઓ આ હત્યારકાંડ તથા તેના પ્રત્યાઘાત રુપે થનારી ઘટનાઓ ઉપર બારિકાઇથી નજર રાખી કાર્યવાહી પણ કરી રહી છે.