સુરત : ઇન્શ્યોરન્સમાં રોકાણ કરવા ઉપર નવ વર્ષે ડબલ અને છ વર્ષ દરમ્યાન બીમારીના તમામ ખર્ચ ફી જેવી લોભામણી વાતોમાં લોકોને સપડાવી 100 કરોડથી વઘુંનું ફૂલેકું ફેરવનારો મહાઠગ આખરે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવ્યો છે. આ ઠગ સામે સુરત, મુંબઇ સહિત દેશના હજારો લોકો સાથે 100 કરોડ કરતાં વધુની છેતરપિંડીની 120 ફરિયાદ જેની ઉપર નોંધાઇ છે. ઠગ નંદલાલ કેશરીસિંહ રાજપૂત ફિનોમીનલ ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન હતો. આ કંપનીના ઓથે જ તેણે ઠગાઇની આંતરરાજ્ય જાળ બિછાવી હતી. ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રની લાતુર જેલમાંથી તેનો કબજો મેળવી આઠ દિવસના રિમાન્ડ મેળવાયા છે.
મળતી માહિતી અનુસાર ફિનોમીનલ ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા વર્ષ 2018માં સુરતના બેલ્જિયમ સ્કવેરમાં આલિશાન ઓફિસ ખોલી મોટું તામઝામ ઉભું કરાયુ હતું. અહીં ઇન્શ્યોરન્સમાં રોકાણ કરવા ઉપર નવ વર્ષે નાણાં ડબલ કરી આપવાનું કહી ઉઠામણું કરાયું હતું. ફરીયાદી રામનયન રામતીર્થ પાંડેએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે બેલ્જીયમ સ્કવેર માર્કેટના પહેલા માળે ફીનોમીનલ ગ્રૂપની કંપનીના એજન્ટ તરીકેનું કામ કરતા હતા.

ફિનોમીનલ ગ્રુપ કંપનીના સંચાલક એન.કે. સીંગ, એમ,કે,સીંગ, ટી.એમ.એસ.નાયર, પ્રભાકર રાજનારાયણ મિશ્રા, રામસજીવન શુકલા અને અમરનાથ તિવારીએ ફીનોમીનલ હેલ્થ કેર સર્વિસીસ પ્રા.લી., ફીનોમીનલ હેલ્થ કેર ગુજરાત પ્રા.લી., ગુજરાતી .. ફીનો હેલ્થ કેર પ્રા.લી. તથા એસ.એન.કે. કોર્પોરેશન પ્રા.લી. વિગેરે નામથી એજન્ટોને કમિશન આપી એજન્ટો રોક્યા હતા. આ એજન્ટના મારફતે લોકોને માસિક એક એવા 20 હપ્તાથી અથવા તેથી ઓછા હપ્તા ભરી અથવા સીંગલ પ્રિમીયમ ભરી કંપનીમાં ઇન્સ્યુરનસ પોલિસી ઉતારવા કહ્યું હતું. કંપનીમાં રોકાણ કરી પોલીસી ઉતારનારને રોકાણ કરેલ નાણાં નવ વર્ષે ડબલ પરત આપવાનો અને સાથે છ વર્ષ સુધી મેડિકલની કંપની તરફથી ફ્રી સુવિધા એટલે છ વર્ષ દરમ્યાન પોલીસી હોલ્ડરને નાની મોટી કોઇ પણ બીમારી આવે તો તેનો ખર્ચ કંપની આપશે તેવી લોભામણી સ્કીમો બહાર પાડી હતી.

આ કંપનીએ એજન્ટ મારફતે ફરીયાદી સહીત ઘણા લોકોને રૂ. ૬,૯૪,૪૪,૧૦૫/- નુ કંપનીમાં રોકાણ કરાવી રોકાણકારોને પાકતી મુદતે નાણાં પરત આપવાનો સમય આવતા 2017 માં કંપની બંધ કરી હતી. જેથી લોકોના રોકાણના નાણાં પરત નહી કરી છેતરપીંડી ગુનો કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલ આરોપી ફીનો ગૃપ ઓફ કંપનીઝનો ચેરમેન નંદલાલ કેસર સીંગ છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો હતી. જે મહારાષ્ટ્ર રાજ્યના લાતુર શહેર ખાતે શીવાજી નગર પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારના ગુનામાં પકડાયો હતો. તેથી સુરત પોલીસે તેનો ટ્રાન્સફર વોરંટ આધારે કબજો મેળવી, તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં 20 કરોડ અને આખા દેશમાં ૧૦૦ કરોડ કરતાં વધુનું કૌભાંડ આચરાયાનું બહાર આવ્યું હતું. જેમાં આખા દેશમાં 120 જેટલા ગુના નોંધાયા હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનામાં પ્રભાકર રાજનારાયણ મિશ્રા અને અમરનાથ ભુવનેશ્વર તિવારીની ધરપકડ કરાઇ હતી. મુખ્ય સૂત્રધાર અને કંપનીના ચેરમેન નંદલાલ કેશરીસિંહ રાજપૂત, મીનબહાદુર કેશરીસિંહ, ટી.એમ.એસ. નાયર અને રામસજીવન શુક્લા સહિતના ચાર આરોપીઓ ફરાર થઇ ગયા હતા. મહારાષ્ટ્રના લાતુર જેલમાં ત્યાંના ગુનાના કામે પકડાયેલાં કંપનીના ચેરમેન નંદલાલ રાજપૂતની સુરત ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરી છે. કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.