ગાંધીનગરઃ રાજ્યમાં મેઘમહેર યથાવત રહી છે. છેલ્લા ૨૪ કલાકમા રાજ્યના ૮૭ તાલુકાઓમા વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામા ૬ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત વલસાડ જિલ્લાના વલસાડ અને વાપી તાલુકામા ૪ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામા પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. તો વલસાડ જિલ્લાના પારડી તાલુકામા ૩ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે અન્ય ૧૨ તાલુકામા ૧ થી ૩ ઈંચ વરસાદ વરસ્યો હતો.
વલસાડ જિલ્લામાં ગઈ કાલે મન મૂકીને મેઘરાજા વરસ્યા હતા. વહેલી સવારે જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે વરસાદના કારણે વલસાડ પાણી-પાણી થયું છે. સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામ તાલુકામાં વરસ્યો છે. બપોરના 4 વાગ્યા સુધીમાં ઉમરગામમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. વલસાડ શહેર અને વાપીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે પારડીમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. મૂશળધાર વરસાદને લઈ નેશનલ હાઈવે 48 પર પાણી ભરાયા હતા. પારડી ઓવરબ્રિજ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. પારડી પોલીસે ઓવરબ્રિજ પર ભરાયેલા પાણી દૂર કરવા પરસેવો પાડવો પડ્યો. હાઈવે ઓથોરિટીની નબળી કામગીરીને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. ધોધમાર વરસાદને લઈ વલસાડ શહેરમાં ઠેકઠેકાણે ઘૂંટણસમા પાણી ભરાયા હતા. શહેરના અબ્રામા વિસ્તારની ખંદાર નગરમાં તો લોકોના ઘરમાં ઘૂસી ગયા વરસાદી પાણી. જેને લઈ ઘરવખરીને નુકસાન થયું છે. રહીશોના મતે દર ચોમાસે અહીં પાણી ભરાય છે. રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું. વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વલસાડ જિલ્લાની ઔરંગા નદી સહિત અન્ય નદીઓમાં નવા નીર આવ્યા છે.
રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે. રાજ્યમા 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. નવસારી, સુરત, દમણ દાદરાનગર હવેલી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં અત્યાર સુધી જૂન મહિનામાં સીઝનનો 23 એમએમ વરસાદ પડ્યો છે. અમદાવાદ-ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છે. વાપી વલસાડ અને ઉમરગામ માં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે વાપીના રેલવે અંડરપાસમાં તો વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ ને મુશ્કેલી પડી રહી છે. વાવણી લાયક વરસાદ વરસી રહ્યો હોવાથી ખેડૂતોમાં ખુશીની લહેર છે. વલસાડના વોર્ડ નંબર 5 અને 2 માં અનેક વિસ્તારોમાં વરસાદ બાદ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. જેના કારણે લોકો રોષે ભરાયા છે.
અમરેલી જિલ્લામાં સતત 11મા દિવસે મેઘમહેર થઈ છે. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના વાવડ છે. સાવરકુંડલા પંથકના છાપરી, લીખાળા, ડેડકડી સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ પડ્યો છે. વરસાદના પગલે ધરતીપુત્રમાં ખુશી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.