ઓનલાઈન પ્લેટફોર્મ પર સામાન વેચતા નાના વેપારીઓને ટૂંક સમયમાં GSTના રજીસ્ટ્રેશનમાંથી મુક્તિ મળી શકે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોનું માનવું છે કે આવા પગલાથી ઈ-કોમર્સ દ્વારા નાના ઉદ્યોગોની પહોંચનો વિસ્તાર થશે. આ મામલા સાથે જોડાયેલા એક સરકારી અધિકારીએ જણાવ્યું કે આ પગલું દેશની પાંચ વર્ષ જૂની પરોક્ષ કર પ્રણાલીમાં માળખાકીય પરિવર્તન લાવશે.
હાલમાં, ઑફલાઇન વેપારીઓને GST રજિસ્ટ્રેશનની જરૂર હોય છે જો તેમનું વાર્ષિક વેચાણ રૂ. 40 લાખથી વધુ હોય. જ્યારે ઓનલાઈન વેપારીઓએ તેમના વાર્ષિક વેચાણને ધ્યાનમાં લીધા વિના GST માટે ફરજિયાત રીતે નોંધણી કરાવવી પડશે. જો આ દરખાસ્ત મંજૂર થઈ જશે તો આ મામલે ઓનલાઈન અને ઓફલાઈન બંને બિઝનેસમેન સમાન થઈ જશે.
એક સરકારી સૂત્રએ જણાવ્યું હતું કે, GST રજિસ્ટ્રેશનના મુદ્દે ઓનલાઈન અને ઑફલાઈન સેલર્સ વચ્ચે સમાનતા લાવવા માટે ઉદ્યોગ અને વ્યવસાયના પ્રતિનિધિઓએ સરકારનો સંપર્ક કર્યો છે. તેમનું કહેવું છે કે વર્તમાન નિયમો નાના વેપારીઓના મોટા ગ્રાહક આધાર સુધી પહોંચવામાં અવરોધ છે. આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વાતચીત ચાલી રહી છે. જીએસટી કાઉન્સિલની લો કમિટી પહેલા આ પ્રસ્તાવની તપાસ કરશે. ત્યાર બાદ જ નિર્ણય લેવામાં આવશે.
આ પગલું એ અર્થમાં પણ નોંધપાત્ર છે કે ભારતીય અર્થતંત્રનો મોટો હિસ્સો અનૌપચારિક છે. ઓનલાઈન રહેવાથી ઘણો ફાયદો થઈ શકે છે. ભારતમાં 63 લાખથી વધુ અસંગઠિત, બિન-ખેતી MSME (સૂક્ષ્મ, નાના અને મધ્યમ વ્યવસાયો) છે. તેઓ દેશના કુલ અર્થતંત્રમાં ત્રીજા ભાગનું યોગદાન આપે છે. તેમાંથી 23 લાખથી વધુ વેપારીઓ છે અને લગભગ 20 લાખ ઉત્પાદકો છે.
જો સરકાર આ પગલું ભરશે, તો તેનાથી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ઘણો ફાયદો થશે અને પ્રોત્સાહિત થશે. આ મામલે ઓનલાઈન અને ઓફલાઈન બિઝનેસમેન સમાન બની જશે. આ સાથે, તે નાના વેપારીઓ પણ જેઓ હજુ સુધી ડિજિટલ રીતે જોડાયેલા નથી તેઓ પણ ઓનલાઈન બિઝનેસ કરવા માટે પ્રેરિત થશે. માત્ર ફરજિયાત GST નોંધણીને કારણે ઘણા ઉદ્યોગપતિઓ તેમના ઉત્પાદનોનું ઓનલાઈન વેચાણ કરવાથી દૂર રહે છે.