મહિલાના મૃત્યું બાદ અંતિમ સંસ્કાર બાબતે વિખવાદ થતાં પોલીસ બોલાવવી પડી હતી. થયું એવું કે એ મહિલાના પૂત્ર બે અલગ-અલગ ધર્મ પાળે છે. એક હિન્દું તો બીજો ખ્રિસ્તી છે. માચાના મૃત્યું બાદ તેના અંતિમ સંસ્કાર અગ્નિદાહ આપીને કરવા કે દફનાવીને એ મુદ્દે બંને ભાઇઓ બાખડી પડ્યા હતા. બાદમાં વાત વણસી જતા પોલીસ બોલાવવી પડી હતી. અંતે ગામના આગેવાનો તથા પોલીસની મધ્યસ્થિથી બંનેની આસ્થા જળવાય તેવા વચગાળાના રસ્તાના ભાગરૂપે માતાને હિન્દુ સ્મશાન નજીક દફનાવવામાં આવી હતી. આ ઘટના દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના દેવધા ગામે ઘટી હતી.

આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી અનસાર દેવધા ગામના બચુભાઈ દેહદાને બે પુત્રો છે. જે પૈકી મોટો પુત્ર કેગુભાઈ બચુભાઈ દેહદા હિન્દુ ધર્મમાં માને છે જ્યારે તેમનો નાનો પુત્ર ભૂરચંદભાઈ બચુભાઈ દેહદાએ ખ્રિસ્તી ધર્મ અપનાવેલો છે. ગુરુવારે સાંજે બચુભાઈનાં ધર્મપત્ની 65 વર્ષીય સેનાબેનનું કુદરતી રીતે મૃત્યુ થયું હતું. તેમની અંતિમવિધિ બીજા દિવસે સવારે કરવાનું નક્કી કરવામાં આવ્યું. પરંતુ બંને ભાઈઓ અલગ અલગ ધર્મ માનતા હોઇ ભૂરચંદ ખ્રિસ્તી ધર્મ મુજબ પોતાની માતાને ખેતરમાં દફનાવવા માંગતો હતો જ્યારે કેગુભાઇ સ્મશાનમાં અગ્નિદાહ આપવા માગતો હતો. ભૂરચંદે પોતાના ખેતરમાં જેસીબી મશીન દ્વારા કબર ખોદાવીને કોફિન પણ મંગાવી લીધુ હતું. જોકે, તેનો કેગુભાઇ સહિતના ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો હતો.

પિતા બચુભાઇ અને માતા સેનાબેન નાના પુત્ર ભૂરચંદ પાસે રહેતાં હતાં. આ મામલામાં પિતા બચુભાઇ પુત્રોને જે મંજૂર હોય તે કરે કહીને ખસી ગયા હતા. બંને ભાઇઓ વચ્ચે માતાની અંતિમવિધિ મામલે પોતપોતાની વાત ઉપર અડગ રહેતાં વિવાદ એટલો વધી ગયો હતો કે પોલીસને જાણ કરવી પડી હતી. આ મામલે અંતે ગામનું પંચ ભેગું થયું હતું અને અંતિમવિધિ મામલે ગંભીરતાપૂર્વક વિચાર કરીને બંનેની આસ્થા જળવાઇ જાય તેવો વચગાળાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સેનાબેનને કોફિન વગર સ્મશાન પાસે દફનાવવાનો નિર્ણય કરાયો હતો. આ ઘટના આખા ગરબાડા પંથકમાં ચર્ચાનો વિષય બની હતી.

પંચને બોલાવ્યા બાદ સ્મશાનમાં દફન કરવા બન્ને ભાઈ તૈયાર થયા
માતાના મૃત્યુ બાદ બીજા દિવસે મોટા ભાઇએ અગ્નિદાહ માટે સ્મશાનમાં લાકડાં સહિતની વ્યવસ્થા કરાવી દીધી હતી. બીજી તરફ ખ્રિસ્તી ધર્મમાં માનતા નાના ભાઇએ પોતાના ખેતરમાં જેસીબીથી કબર ખોદાવીને કોફિન પણ મંગાવી લીધું હતું. બંને ભાઈઓ વચ્ચે વિખવાદને પગલે ગ્રામજનો અને પંચ એકત્ર થયા હતા. કોઈ અઘટિત બનાવ ના બને તે માટે પોલીસને પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી. અંતે પંચ દ્વારા સમજાવટ બાદ હિન્દુ સ્મશાન પાસે દફનાવવાનું નક્કી કર્યુ હતું.