અમદાવાદ : રાજ્યમાં મેઘરાજાની પધરામણી પહેલાનો માહોલ બરાબર જામી રહ્યો છે. થન્ડરસ્ટોર્મની અસર હેઠળ આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં મોટો બદલાવ થશે. થન્ડર સ્ટોર્મની અસરથી રાજ્યના 5 જિલ્લાના 12 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સાથે જ પાટણના સાંતલપુર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા 10 વધુ મકાનોના પતરાં ઉડ્યા હતા. સદનસીબે તેમાં મોટી જાનહાનિ ટળી હતી. આમ, થન્ડર સ્ટોર્મની અસર વચ્ચે આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળશે, પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે, જોકે ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના નહીવત્ છે. તેમજ પ્રથમ વરસાદની વીજળીએ લીંબડી તાલુકાના એક યુવકનો ભોગ લીધો છે. મધરાતે લીંબડી તાલુકાના જાંબુ અને નટવરગઢ ગામ વચ્ચે વીજળી પડતા યુવકનું મોત નિપજ્યુ છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. કારણ કે, રાજ્યના વિવિધ વિસ્તારમાં થન્ડરસ્ટોર્મની અસર થશે. જેમાં પવનની ગતિ પણ 30થી 40 KM પ્રતિ કલાકની રહી શકે છે. તો આજે બનાસકાંઠા, અમદાવાદ સહિતના વિસ્તારમાં મોટાપાયે તેની અસર જોવા મળશે. આજથી 10 જૂન કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ વરસાદની શક્યા છે. આજથી 10 જૂન સુધી ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.
થન્ડર સ્ટોર્મની અસર મંગળવારે રાજ્યના 5 જિલ્લામાં 12 તાલુકામાં વરસાદ પડ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ભીંજાયા હતા, જેથી વાતાવરણ ખુશ્નુમા બન્યુ હતું. લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો હતો. અમરેલી, અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદ નોંધાયો હતો. તો અમરેલીના લાઠીમાં સૌથી વધુ પોણા ત્રણ ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો. ઉત્તર ગુજરાતમાં અમદાવાદના ધંધુકામાં 1.5 ઈંચ વરસાદ પડ્યો હતો. તો સુરેન્દ્રનગરના ચુડામાં પોણો ઈંચ અને લીંબડીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
થન્ડર સ્ટોર્મની અસરના ભાગરૂપે પાટણ જિલ્લાના વાતાવરણમા પલટો આવ્યો હતો. વાતાવરણના પલટાના ભયાનક વીડિયો પણ સામે આવ્યા, જેમાં સાંતલપુર તાલુકાના વારાહીમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે. ભારે પવન સાથે પડેલ વરસાદમાં 10 થી વધુ મકાનોના પતરા ઉડ્યા હતા. ગઢા, વર્ણોસરી, કોરડા, એવાલ સહિત વાઘપુરામાં ભારે પવન સાથે ધીમીધારે વરસાદ ખાબક્યો હતો. તો – ઝંડાલા ગામે ભારે પવન ફૂંકાતા કાચા તેમજ પાકા મકાનના પતરાં ઉડતા વ્યાપક નુકસાની નોંધાઈ છે. ભારે પવનના કારણે પતરાં ઉડી ખેતરમાં પડતા મકાન માલિકોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.