સુરત : પેટમાં દુઃખાવાની ફરિયાદ સાથે સારવાર માટે આવેલી સગર્ભા હોસ્પિટલના શૌચાલયમાં બાળકીને જન્મ આપ્યો હતો. અધૂરા માસે જન્મેલું બાળક મૃત હોવાથી સગર્ભા ગભરાઇ ગઇ અને નવજાતને શૌચાલયમાં જ તરછોડી ગાયબ થઇ ગઇ હતી. સોમવારે રાતે બનેલી આ ઘટના અંગે સિવિલ વહીવટી તંત્ર તદ્દન અજાણ રહ્યું હતું. સવારે સફાઇ કર્મચારીઓ આવ્યા ત્યારે નવજાતનો મૃતદેહ મળતાં ભારે ચકચાર મચી હતી. સિવિલ તંત્ર દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કપરવામાં આવી હતી. પોલીસે હવે આ નવજાતને જનેતાને શોધવા તપાસ હાથ ધરી હતી. પોલીસ હાલ સીસી કેમેરા ફૂટેજની મદદથી એ મહિલાનું પગેરુ દાબવા કવાયત કરી રહી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતની નવી સિવિલ હૉસ્પિટલના ટ્રોમા સેન્ટરના શૌચાલયમાં નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે. સોમવારે રાત્રે ટોયલેટના ટબમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. અધુરા માસે જન્મેલા પાંચ મહિનાના મૃત બાળકને શૌચાયલમાં જ છોડી મહિલા ગાયબ થઈ ગઈ હતી. રાત્રે આટલું બધુ થઈ ગયું અને હૉસ્પિટલના સ્ટાફને ખબર છેક મંગળવારે સવારે પડી હતી. સવારે સફાઈ કર્મચારીએ શૌચાલયમાં બાળકનો મૃતદેહ જોતા જ ચોંકી ઉઠ્યો હતો અને સમગ્ર ઘટના સામે આવી ગઈ હતી. આ ઘટના બાદ તંત્ર દોડતું થઈ ગયું હતું. અધૂરા માસે જન્મેલી બાળકીના મૃતદેહને બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ઘટના બહાર આવતા ભારે હોબાળો થયો હતો અને સિવિલના પ્રશાસકો પર પસ્તાળ પડતા એક્શનમાં આવી ગયા હતા. સીસીટીવીના આધારે શંકાસ્પદ મહિલાની તેઓ તપાસ કરી રહ્યા છે. સિવિલના સત્તાધીશોની ફરિયાદના આધારે પોલીસ તપાસ કરી રહી છે. બાળકની માતાને શોધવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે. આ સાથે જ સિવિલમાં સુરક્ષા વ્યવસ્થા સામે પણ ઘણાં પ્રશ્નો ઉભા થવા પામ્યા છે.