વડોદરાની યુવતીએ કેનેડા સ્થાયી થવાની મહેચ્છા પુરી કરવા માટે સેલવાસના યુવકને ફસાવ્યો હતો. યુવક સાથે લગ્ન કર્યા બાદ કેનેડામાં સાથે રહીશું એવી વાતમાં ભોળવ્યો હતો. પોતાના પીઆર વીસા માટે યુવક પાસેથી 42.55 લાખ પડાવી કેનેડા પહોંચેલી યુવતીએ અસલી રંગ બતાવ્યો હતો. તેણીએ કેનેડા મોકલનાર પતિને તરછોડી દેતા સેલવાસ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
સેલવાસ ખાતે ફાધર સ્કૂલ પાસે ગુરૂકૃપા બિલ્ડીંગમાં રહેતા સૂરજ રજનીકાંત ભાવસારની મુલાકાત થોડા વર્ષો અગાઉ વડોદરા સ્વિશ્વમૈત્રી ટાઉનશીપ બી-41માં રહેતી નમ્રતા પ્રશાંતકુમાર ભાવસાર સાથે થઇ હતી. જે બાદ બંને પરિવારની સંમતિ મેળવી લગ્ન કરી લેતા નમ્રતા સુરજ સાથે સેલવાસમાં રહેવા લાગી હતી.
ઓગષ્ટ 2017માં સૂરજ દુબઇ ગયો ત્યારે પાછળ પાછળ નમ્રતા પણ ત્યાં ગઇ હતી. થોડો સમય દુબઈ રહ્યા બાદ તેઓ આવ્યા અને પછી નમ્રતાએ પોતાનો ખેલ શરૂ કર્યો હતો. પોતાના કહ્યામાં આવી ગયેલા સુરજને તેણીએ જણાવ્યું હતું કે, આપણે કેનેડા જઈએ. ત્યાં સેટ થઈ સુખ અને શાંતિપૂર્ણ જીવન વિતાવીશું. તેણીએ કહ્યું મને સરળતાથી પીઆર (સ્થાયી રહેવાસી) મળી જશે અને પછી તેના આધારે તને પણ પીઆર મળી જશે. બંને પીઆર લઈને કેનેડામાં કામ ધંધો કરીશું તેમ કહી લલચાવીને સુરજ પાસેથી નમ્રતાએ ડીસેમ્બર 2018થી માર્ચ 2019 સુધીમાં રૂ.29500, 23600 અને રૂ.29500 લઇ અમદાવાદના ગેપ્સી કન્સલ્ટન્સીને આપ્યા હતા.
જો કે અમદાવાદની આ એજન્સીથી કામ ન થતા વડોદરાની તિરૂપતિ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ પ્રા.લિ.ને સૂરજે 1,50,000 રૂપિયા ચૂકવ્યા હતા. વડોદરાની એજન્સી એ વીસાનું કામ કરી આપ્યું અને નમ્રતા કેનેડા પહોંચી ગઇ હતી. કેનેડામા તેણી નોકરીએ પણ લાગી ગઇ હતી.
અગાઉથી નક્કી થયા અનુસાર નમ્રતા થોડી સેટ થઈ એટલે સૂરજે પણ વીસા માટે અરજી કરી ગીત. તેને વીસા મળ્યા અને તે પણ કેનેડા પહોંચી ગયો હતો.
જો કે ત્યાં જઈ સૂરજે જોયું તો નમ્રતા સંપૂર્ણ બદલાઈ દઈ હતી. તેના રંગઢંગ જોઈ સૂરજ ચોંકી ઉઠ્યો હતો. પતિ-પત્નીનો સંબંધ ખતમ કરી દેવા નમ્રતાએ જણાવતા સૂરજને પોતે છેતરાઇ ગયા હોવાની જાણ થઇ હતી. વિદેશની ધરતી ઉપર પોતે કંઈ જ કરી શકે એન ન હોવાથી તે કેનેડાથી પરત આવી ગયો હતો. ભારત આવી સૂરજે નમ્રતા અંગે વાત કરી હતી. સૂરજની હૈયા કકળાટ સાંભળી તેના પિતા રજનીકાંતભાઇ ભાવસારે નમ્રતા સામે છેતરપિંડીની ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર કેનેડામાં બર્થડે ઉજવ્યા બાદ નમ્રતા એ અલગ થવા કહ્યું હતું.
સૂરજ આશ્રિત વિઝા પર પત્ની નમ્રતાને મળવા તેની પાસે જ્યારે કેનેડા ગયો ત્યારે 27મી ઓગષ્ટ 2020ના રોજ નમ્રતાનો જન્મદિવસ હતો. સૂરજે ઉત્સાહમાં ઉજવણી કરી જ્યારે નમ્રતાના મન મસ્તિષ્કમાં કંઈક ઓર જ ચાલતું હતું .
બર્થડે ઉજવ્યા બાદ નમ્રતાએ સૂરજને છોડી દઇ પતિ-પત્ની તરીકે અલગ થવાની વાત કરતાં સુરજ ચોંકી ઉઠ્યો હતો. કેનેડામાં સ્થાયી થવાના સ્વપ્ન જોતા સૂરજને મોટો આઘાત લાગ્યો હતો. નમ્રતાએ કેનેડા પહોંચવા પોતાનો ઉપયોગ કર્યો એ વાતે તે માનસિક હતાશાનો ભોગ બન્યો હતો.
ફરિયાદીના જણાવ્યા મુજબ નમ્રતાએ ખોટા ઇરાદાથી વિઝા મેળવવા સુરજ અને તેના પરિવાર સાથે છેતરપિંડી કરી રૂ.42,55,750 રૂપિયા પડાવી લીધા હતાં.
કેનેડાનો પીઆર મેળવ્યા બાદ સુરજને કેનેડા બોલાવી તેની ઇચ્છા મુજબ હું છુટાછેડા લઇશ તેમ કહી 25 મે 2021ના રોજ છૂટાછેડા લેનારને જેલ કરાવીશ તેમ કહી ધમકાવતા તેનો ઇરાદો શરૂઆતથી જ છેતરવાનો હોવાનું પુરવાર થાય છે.