દેશના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. ચીફ જસ્ટિસ એન વી રમના તેમને શપથ લેવડાવશે. આ દરમિયાન 21 તોપની સલામી અપાશે. શપથ ગ્રહણ બાદ રાષ્ટ્રપતિનું સંબોધન પણ હશે. દ્રૌપદી મુર્મૂ દેશના પહેલા મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ છે. તેઓ આઝાદી બાદ જન્મેલા પ્રથમ રાષ્ટ્રપતિ હશે. 64 વર્ષની ઉંમર છતાં તેઓ દેશના સૌથી યુવા વયના રાષ્ટ્રપતિ બનશે.
દ્રોપદી મુર્મૂ આજે સવારે 10.15 વાગે સંસદના સેન્ટ્રલ હોલમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભા સભાપતિ એમ વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, મંત્રી પરિષદના સભ્યો, રાજ્યપાલ, મુખ્યમંત્રી, રાજનયિક મિશનના પ્રમુખ, સંસદ સભ્ય, સરકારના મુખય્ અસૈન્ય અને સૈન્ય અધિકારીઓ સમારોહમાં સામેલ થશે. સંસદના કેન્દ્રીય કક્ષમાં સમારોહના સમાપન બાદ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ભવન માટે રવાના થશે. અહીં તેમને એક ઈન્ટર સર્વિસ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે તથા હાલમાં જ જેમનો કાર્યકાળ પૂરો થયો તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું શિષ્ટાચાર સન્માન કરવામાં આવશે.
અત્રે જણાવવાનું કે રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં મુર્મૂએ વિપક્ષના જોઈન્ટ ઉમેદવાર યશવંત સિન્હાને હરાવીને જીત મેળવી છે. તેઓ આઝાદી બાદ પેદા થનાર પહેલા અને ટોપ પર પહોંચનારા સૌથી યુવા વયના રાષ્ટ્રપતિ છે. 20 જુન, 1958ના રોજ જન્મેલા મુર્મૂની ઉંમર 64 વર્ષ છે. દ્રૌપદી મુર્મૂ પહેલા આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ હશે. શપથ ગ્રહણ સમારોહમાં તેઓ પરંપરાગત સંથાલી સાડી પહેરી શકે છે. સાડી તેમના ભાભી કુકરી ટુડુ લઈને આવ્યા છે. સુકરી તેમના પતિ તારિણીસેન સાથે સમારોહમાં સામેલ થશે. સંથાલી સાડી પૂર્વ ભારતમાં ખાસ અવસરો પર સંથાલ સમુદાયની મહિલાઓ પહેરે છે. આ સાડીઓને એક છેડે કેટલાક ધારીઓનું કામ હોય છે.
25મી જુલાઈએ શપથ લેનારા 10મા રાષ્ટ્રપતિ
દ્રૌપદી મુર્મૂ 25 જુલાઈએ શપથ લેનારા 10મા રાષ્ટ્રપતિ હશે. વર્ષ 1977થી રાષ્ટ્રપતિ 25 જુલાઈના રોજ શપથ લેતા આવ્યા છે. દેશના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે 26 જાન્યુઆરી 1950ના રોજ શપથ લીધા હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણને 13મે 1962ના રોજ શપથ લીધા હતા. બે રાષ્ટ્રપતિ ઝાકિર હુસૈન અને ફખરુદ્દીન અલી અહેમદ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહીં. કારણ કે તેમનું કાર્યકાળ દરમિયાન નિધન થઈ ગયું.
છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ 25 જુલાઈ 1977ના રોજ શપથ લીધા. ત્યારથી 25 જુલાઈએ જ્ઞાની જેલસિંહ, આર વેંકટરામન, શંકર દયાલ શર્મા, કે આર નારાયણન, એપીજે અબ્દુલ કલામ, પ્રતિભા પાટિલ, પ્રણવ મુખરજી, અને રામનાથ કોવિંદે આ તારીખે શપથ લીધા હતા.