સરકાર નિયમોમાં ફેરફાર કરીને તાવમાં વપરાતી પેરાસિટામોલ અને સામાન્ય ઉપયોગની 16 અન્ય દવાઓને ઓવર ધ કાઉન્ટર લિસ્ટમાં મૂકવાની તૈયારી કરી રહી છે. એટલે કે આ દવાઓ ખરીદવા માટે હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર નહીં પડે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ સંદર્ભે એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
આ સંદર્ભમાં જાહેર કરાયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ 16 દવાઓમાં પેરાસિટામોલ સાથે ડિક્લોફેનાક, નાક બંધ કરવા માટે વપરાતી દવાઓ અને એન્ટિ-એલર્જિક દવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમાં એન્ટિસેપ્ટિક અને જંતુનાશક એજન્ટો, જિન્ગિવાઇટિસની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ક્લોરહેક્સાડીન માઉથવોશ, ઉધરસની સારવાર માટે વપરાતી દવા, એન્ટિ-બેક્ટેરિયલ ખીલ ફોર્મ્યુલેશન્સ, એન્ટિ-ફંગલ ક્રીમ, એનાલજેસિક ક્રીમ ફોર્મ્યુલેશન અને એન્ટિ-એલર્જી કેપ્સ્યુલ્સનો સમાવેશ થાય છે.
આરોગ્ય મંત્રાલયે ડ્રગ્સ રેગ્યુલેશન એક્ટ 1945માં સુધારો કરવા માટે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેથી આ દવાઓને OTCમાં સામેલ કરી શકાય. આ સાથે રિટેલર્સ તેને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકશે. વાસ્તવમાં તેનો હેતુ લોકોની સામાન્ય ઉપયોગની દવાઓની પહોંચ વધારવાનો છે. સૂચિત ફેરફારો આ દવાઓને પ્રિસ્ક્રિપ્શન વિના વેચવાની મંજૂરી આપશે અને લોકો માટે ઍક્સેસ કરવાનું સરળ બનશે.