ભારતીય સંસ્કૃતિ કહો કે સમાજમાં માથું ઢાંકવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. માત્ર હિન્દુ જ નહીં શીખ અને મુસ્લિમ સહિત મોટા ભાગના ધર્મોમાં પણ ધાર્મિક પ્રવૃત્તિઓ દરમિયાન માથું ઢાંકવાની જરૂર પડે છે. સામાન્ય સંજોગોમાં માથું ઢાંકવું એ સન્માનનું સૂચક છે, પરંતુ પૂજા પાઠ દરમિયાન માથું ઢાંકવું એ માત્ર મહિલાઓ માટે જ નહીં પરંતુ પુરુષો માટે પણ જરૂરી ગણાવાય છે. પૂજા-આરતી સમયે માથા પર બીજું કશું જ નહીં તો ઓછામાં ઓછો રૂમાલ તો ઢાંકવો જ જોઈએ એવો આગ્રહ રાખવામાં આવે છે. માથું ઢાંકવું એ જે તે વ્યક્તિના મનમાં ભગવાન પ્રત્યે આદર અને સમર્પણ વ્યક્ત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે પૂજામાં સ્ત્રી અને પુરુષ બંને માટે માથુ ઢાંકવાનું કેમ જરૂરી છે? આ બાબતે ઘણી માન્યતાઓ જોવા મળે છે.

*ગરૂડ પુરાણ મુજબ પૂજા કે કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે માથું ઢાંકવું જોઈએ, કારણ કે તેનાથી ચંચળ મનનું ધ્યાન ભટકતું નથી અને સંપૂર્ણ ધ્યાન પૂજા પર જ હોય છે.
*એવું માનવામાં આવે છે કે જ્યારે માથું ઢાંકવામાં આવે છે, ત્યારે સંપૂર્ણ ધ્યાન પૂજા પર હોય છે. આ નિયમનું પાલન કરવાથી વ્યક્તિને નસીબનો બમણો સાથ મળે છે.
*શાસ્ત્રો અનુસાર પૂજા સમયે માથું ઢાંકવું એ ભગવાનનું સન્માન કરવાનું પ્રતીક છે. જેમ કે વડીલોની સામે માથું ઢંકાયેલું હોય છે. તેવી જ રીતે ભગવાનના માન-સન્માન માટે પણ માથું ઢાંકવું જરૂરી છે.
*શાસ્ત્રો અનુસાર પૂજા પાઠ માટે તમામ સ્ત્રી-પુરુષ માટે સામાન્ય નિયમો છે. માટે પૂજા દરમિયાન સ્ત્રી-પુરુષ બન્નેએ માથું ઢાંકવું જરૂરી છે.
*પૂજા કરતી વખતે કે મંદિરમાં જતી વખતે આપણું માથું ઢાંકવાથી આપણે નકારાત્મક શક્તિઓથી બચી જઈએ છીએ. કારણ કે વાળ દ્વારા નકારાત્મકતા આપણને આકર્ષિત કરે છે. જ્યારે માથું ઢંકાયેલું હોય છે ત્યારે મનમાં સકારાત્મક વિચારો લાવે છે.
*ઘણા લોકોને વાળ ખરવા અને ખોડો વગેરે જેવી સમસ્યાઓ હોય છે. આવી સ્થિતિમાં પૂજાની સામગ્રીમાં વાળ અથવા ખોડો પડે તો તે અશુદ્ધ થઈ જાય છે. માટે પૂજામાં માથુ ઢાંકવું પણ જરૂરી છે.
*જો માથું ખુલ્લું હોય તો આકાશી વિદ્યુત તરંગો સીધા જ વ્યક્તિમાં પ્રવેશે છે, જેના કારણે માથાનો દુખાવો, આંખોમાં નબળાઇ વગેરે જેવી સમસ્યાઓ થાય છે. માથાના વાળમાં આકાશમાં ફરતા જીવાણુઓ સરળતાથી ચોંટી જાય છે, કારણ કે વાળની ચુંબકીય શક્તિ તેમને આકર્ષિત કરે છે. આવી સ્થિતિમાં, તેઓ ઘણા રોગોનું કારણ બને છે.
*માથું ઢાંકીને પૂજા કરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે હવનમાં માથું ઢાંકીને બેસવાથી શરીરનું તાપમાન આગની જ્વાળાઓથી નિયંત્રણમાં રહે છે.